રાજકોટમાં હૃદયરોગનો હુમલો વધુ એક પ્રૌઢને ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવો અટકવાનું નામ લેતા નથી ત્યારે રાજકોટમાં કોઠારીયા રોડ પર જયનગરમાં રહેતા વધુ એક પ્રૌઢાનો હાર્ટએટેકે ભાગે લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર રણુજા મંદિર સામે આવેલા જયનગરમાં રહેતા સોનીબેન વાલજીભાઈ ડોડીયા (ઉ.વ.54) નામના પ્રૌઢા પોતાના ઘરે હતા. ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં અચનાક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રોઢાનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક સોનીબેન ડોડીયાને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં કૃષ્ણનગર મેઇન રોડ ઉપર ગુરૂૂપ્રસાદ ચોકમાં રહેતા વિમલભાઈ નાથાભાઈ રાઠોડ નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ યુવકની સારવાર કારગત નહીં નિવડતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિમલ રાઠોડ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. વિમલ રાઠોડ છેલ્લા ત્રણ માસથી બીમારીમાં સપડાયો હતો. અને બીમારી સબબ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.