શહેરમાં ત્રણ સ્થળે લૂંટ ચલાવનાર ટોળકી સકંજામાં
કડકાઈ દૂર કરવા ત્રણ મિત્રોએ સાથે મળી લૂંટને અંજામ આપ્યો
સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાંચે ત્રિપુટીને ઓળખી કાઢી
શહેરમાં એક જ દિવસમાં લૂંટની ત્રણ ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ મામલે શહેરભરની પોલીસ લુંટારુ ત્રિપુટીને ઝડપવા માટે કામે લાગી હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચને આ ત્રીપુટીને સકંજામાં લેવામાં સફળતા મળી છે. મવડી પ્લોટમાં તેમજ મોકાજી સર્કલ અને યાજ્ઞિક રોડ ઉપર લૂંટ ચલાવનાર આ ત્રિપુટીની સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ થયા બાદ ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ બ્રાંચે ત્રીપુટીને દબોચી લીધી હતી.
રાજકોટમાં બનેલી લુંટની બે ઘટનાઓમાં પ્રથમ ઘટના યાજ્ઞીક રોડ નજીક હોમી દસ્તુર માર્ગ ઉપર બની હતી. જ્યાં પોલીસ વિભાગનાં કર્મચારીઓની ઉઠક બેઠક છે ત્યાં નજીકમાં ધોળા દિવસે લુંટનો બનાવ બન્યો હતો. વાગુદડ પાસે વાડીમાં રહેતા આદિવાસી યુવાન મનસુખ કાળુભાઈ ઘોડ મોટર સાઈકલ લઈને જતો હતો ત્યારે હોમી દસ્તુર માર્ગ પાસે પહોંચતાં ત્રિપલ સવારી એક બાઈકમાં આવેલા શખ્સોએ તેને રસ્તામાં આંતર્યો હતો અને પેટ ઉપર છરી રાખી મનસુખ પાસેથી 12000ની કિંમતની સોનાની કડી અને 1500 રૂપિયા રોકડ મળી 13,500ની લુંટ ચલાવી હતી. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
લુંટની બીજી ઘટના મોકાજી સર્કલ પાસે બની હતી. જેમાં મવડી પ્લોટ ઉદયનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતાં કેતન રાઘવજીભાઈ ગોહેલ (ઉ.40) પોતાની રીક્ષા લઈને સવારે ચાર વાગ્યે મોકાજી સર્કલ પાસે જતો હતો ત્યારે એક બાઈક ઉપર ત્રિપલ સવારી આવેલા શખ્સોએ તેને રસ્તામાં રોકયો હતો. કેતનને રસ્તામાં રોકી છરી બતાવી તેની પાસેથી રૂા.20 હજારની કિંમતનો મોબાઈલ અને 2500ની રોકડની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. આ બનાવ અંગે કેતને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
ત્રીજી ઘટનામાં મવડી પ્લોટમાં ન્યુ મેઘાણી નગરમાં રહેતા કાનજીભાઈ વલ્લભભાઈ ઠુંમર પોતાનું મોટરસાયકલ લઈને જતાં હતાં ત્યારે મવડી ઓવરબ્રીજ પાસે બાઈકમાં આવેલ ત્રીપુટીએ તેમને રસ્તામાં રોકી છરીબતાવી રૂા. 10 હજારની લુંટ ચલાવી હતી. આ મામલે મલાવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટમાં ટૂંકા ગાળામાં એક જ દિવસમાં બનેલી લુંટની આ ત્રણ ઘટનાઓમાં એક જ મોડસ ઓપેન્ડીથી લુંટ ચલાવવામાં આવી હોય તેમજ લુંટમાં બાઈક સવાર ત્રણ શખ્સો હોવાનું બન્ને ફરિયાદીએ પોલીસને જે રીતે વર્ણન આપ્યું છે તેના આધારે પ્રાથમિક તપાસમાં આ બન્ને લુંટમાં એક જ ટોળકીની સંડોવણી હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો એ આપેલ માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે આ ત્રિપુટીને ઓળખી કાઢી હતી અને એક પછી એક આ ત્રણેયને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ લુંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ એસીપી બી.બી. બસિયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમઆર ગોંડલિયા અને પીએસઆઈ એમ.જે. હુણ અને તેેમની ટીમે કામગીરી કરી હતી.