રાજકોટ અગ્નિકાંડના એક દિવસ બાદ જ ખોટા દસ્તાવેજો ઉભા કરાયા, કોર્ટમાં થયાં અનેક હચમચાવી નાખે તેવા ખુલાસાઓ
રાજકોટના અગ્નિકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં સ્પે. પીપી. તુષાર ગોકાણી દ્વારા કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની કોઇ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં આવી નહોતી . 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ જાડેજાની સૂચનાથી રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. ઘટનાના એક દિવસ બાદ જ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા.
સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ જણાવ્યું હતું કે, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા દ્વારા ખોટી મિનિટ્સ બૂક બનાવવામાં આવી હતી. 4 મેના રોજ કોઇ ગેરકાયદેસર બાંધકામ માટેની અરજી કરવામાં આવી નહોતી. તેમજ 9 મેના રોજ અરજી સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઇ પ્રત્યુતર આપવામાં આવ્યો નહોતો. પોલીસ દ્વારા IPCની કલમ 201નો ઉમેરો કરવા બબાતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. IPC 201 પુરાવાનો નાશ કરવા બાબતે લાગુ કરવામાં આવતી હોય છે.
રાજકોટના TRP ગેમ ઝોનમાં 25 મે એટલે કે શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા.