ગોંડલના હડમતાળા પાસે કડિયા કામે જતાં દલિત યુવાનને માર મારી હડધૂત કર્યો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતાળા ગામે કારખાનેદાર સાથે સાઈટ પર કામ જોવા જતાં દલીત કડિયા યુવાનને રસ્તા વચ્ચે રોકી બે સખ્સોએ તારે મજુરી કામે જવાનું નથી તેવું કહી કાઠલો પકડી મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના પાટિયાળી ગામે રહેતા અને કડિયાકામ કરતા કાનજીભાઈ પાલાભાઈ મકવાણા ઉ.વ.45 નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હડમતાળાના રમેસભાઈ સખિયા અને ભરતભાઈ સખિયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી બપોરે 12 વાગ્યેના અરસામાં ગામના બસસ્ટેન્ડે બેઠો હતો ત્યારે હડમતાળાના કારખાનેદાર જેનીથભાઈ કાર લઈ ફરિયાદીને પોતાના કારખાને કડિયાકામ કરવાનું હોય સાઈટ જોઈ જવા માટે તેડવા આવ્યા હતાં. હડમતાળા સાઈટ જોઈ જેનીથભાઈની કારમાં પરત પોતાના ગામ તરફ જવા નિકળ્યા હતા ત્યારે રસ્તામાં રમેશભાઈ સખિયા અને ભરતભાઈ સખિયાએ કારખાનેદાર જેનીથભાઈ સાથે જૂનુ મનદુખ ચાલી આવતું હોય તેનો ખાર રાખી કાર ઉભી રખાવી હતી.
જેનીથભાઈની કાર રોકી બન્ને આરોપીઓ બોલાચાલી કરતા હતાં ત્યારે તેમની સાથે રહેલા દલિત યુવાનને તારે જેનીથભાઈને કારખાને કામે જવાનું નથી. તેવું કહી મને ઓળખો છો તેમ કહી આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
ધમકી આપી
શાપર-વેરાવળ શાંતિધામ સોસાયટીમાં રહેતા હંસાબેન અરવિંદભાઈ મકવાણા ઉ.વ.35ની પાડોશમાં રહેતા રાજભાઈ પરમાર, ભરતભાઈ ઝાપડા, જયદીપભાઈ ભરવાડ અને અમિતભાઈએ સરકારી ખરાબાની જમીનમા પથ્થરની દિવાલ કરેલ હોય જે જગ્યા ખાલી કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.