જૂનાગઢમાં સોનાના શો રૂમના મેનેજર દ્વારા 91 લાખનું ચીટિંગ
1282 ગ્રામ સોનુ બારોબાર અન્યને વેચી માર્યું
છેતરપિંડી કરવી હવે જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ દિવસે ને દિવસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના વધતા જાય છે ત્યારે જુનાગઢ શહેરમાં આવેલ અક્ષર જ્વેલર્સ નામના સોનાના શોરૂમના મેનેજરે જ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે.
જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અક્ષર જ્વેલર્સના માલિક દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં અક્ષર જ્વેલર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલા નામના વ્યક્તિએ અન્ય કારીગરને બનાવવા આપેલ દાગીના ફેબ્રુઆરી 2024 થી મેં 2024 દરમિયાન કિંમત રૂૂ 91 લાખનું 1282.07 ગ્રામ સોનુ અન્ય વ્યક્તિઓને આપી છેતરપિંડી આચરી હતી. ત્યારે આ મામલે અક્ષર જ્વેલર્સના માલિકને જાણ થતા તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વત્સલ સાવજ અને તેમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. પણ અક્ષર જ્વેલર્સમાં છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી અને તેના બે સાથીદારોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપી મયુર વાઘેલા અને તેના સાથી મિત્ર કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને ભૌમિક પરમારને એ ડિવિઝન પોલીસ આપે ઝડપી પાડ્યા હતા. જે મામલે આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપી પાસેથી 25 લાખની કિંમતના 397 ગ્રામ સોનાની રિકવરી કરવામાં આવી છે. તેમજ અક્ષર જ્વેલર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને છેતરપિંડી આચરનાર મયુર વાઘેલાના બેંક ખાતામાંથી 25 લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે. ત્યારે પકડાયેલ ત્રણે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે મામલે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
અક્ષર જ્વેલર્સ માં મેનેજર તરીકે મયુર વાઘેલા છેલ્લા ઘણા સમયથી આ સોનાના શોરૂમમાં નોકરી કરતો હતો. અને ઘણા લાંબા સમયથી નોકરી કરતો હોવાથી શોરૂૂમના માલિકનો તેના પર પૂરો વિશ્વાસ હતો. જ્યારે નવો માલ શોરૂૂમમાં આવતો હતો ત્યારે ખોટા બીલ બનાવી સોનાના હિસાબમાં મયુર વાઘેલા ગડબડ કરતો હતો. અને જ્યારે હિસાબ કરવાનો થાય ત્યારે પોતે બનાવેલા ખોટા બીલો રજૂ કરતો હતો. પરંતુ જ્યારે દુકાનમાં રહેલ સોનાના માલનો સ્ટોક નો હિસાબ કરવા સમયે આ મયુરના કાળા કરતૂતની શોરૂમના માલિકને જાણ થઈ હતી. હિસાબ સમયે કોમ્પ્યુટર પ્રાઇસ બિલ અને ખોટા બનાવેલ બીલો વચ્ચે શોરૂમના માલિકને તફાવત જોવા મળ્યો હતો.અને હિસાબ કરતા મયુર વાઘેલાએ કરેલ છેતરપિંડીની જાણ શો રૂમના માલિકને થઈ હતી. ત્યારે અક્ષર જ્વેલર્સના માલિકે તાત્કાલિક એ ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ એ ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ત્રણેય આરોપીની ઝડપી પાડ્યા હતા.