9 સિંહ રેલવે ટ્રેક ઉપર મારણ કરતા હતા અને ટ્રેન આવી ગઇ, દુર્ઘટના સહેજમાં અટકી
રાજુલાના ભેરાઈ નજીક રાત્રિના સમયે ટ્રેન આવતી હતી ત્યારે રેલવે ટ્રેક પર 9 સિંહ ભૂંડનો શિકાર કરીને મીજબાની માણતા હતા. આ જોઈ ટ્રેનચાલક દ્વારા ટ્રેન રોકી દેવામાં આવી હતી.આ પછી વનવિભાગને જાણ કરાતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ 9 સિંહને રેલવેના ટ્રેક પરથી સલામત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
વન્યજીવ રેન્જ હેઠળના રાજુલા રાઉન્ડના રાજુલા બીટ-1ના ઉમૈયા ગામના ધોધમ વિસ્તારમાં રાત્રીના 9.17 વાગ્યે રેલ્વે ટ્રેકથી 70 મીટર દુરના અંતરે વન્યપ્રાણી સિંહ કુલ 9ના ગ્રૂપનું અવલોકન સ્થાનીક ટ્રેકર્સ કિશોરભાઈ ધાખડા તથા વનમિત્ર લાલભાઇ દ્વારા થતા જેની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય.એમ.રાઠોડને થતા તાત્કાલીક રેન્જના સ્ટાફ સહિત સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ગૃપની મુવમેન્ટ રાત્રીના 11.20 કલાકના અરસામાં ભેરાઈ ગામના રેવન્યુ વિસ્તારમાં રેલ્વે સ્ટોન નંબર 16/7થી 16/8 ફેંસિંગની બહાર થઈ હતી. આ વન્યપ્રાણી સિંહના ગૃપ દ્રારા ભુંડનો શિકાર કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન રાજુલા સિટીથી પીપાવાવ તરફ જતી ટ્રેન નંબર PT/PPSP/OCO-4926/KMના મેસેજ રાજુલા સિટીના રેલ્વે સેવક સમીર સેલડા દ્વારા મહેંદ્રભાઈ રેલ્વે સેવકને ટેલીફોનિક જાણ કરતા મહેંદ્રભાઈ રેલ્વે સેવક દ્વારા ટ્રેનને 23:38ના સમયમાં રોકવામાં આવી હતી.
બાદમાં આઇ.વી.ગોહીલ સુચીત રેસ્ક્યુ ફોરેસ્ટર, શ એમ.એ.માંગાણી વનરક્ષક રેલ્વેટ્રેકબીટ-1 તથા સ્થાનીક ટ્રેકર્સ તથા રેલ્વેસેવકો દ્વારા સ્કેનિંગની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમજ લોકો પાઇલોટને સિંહ સંરક્ષણ વિશેની સમજ આપ્યા બાદ આ તમામ વન્યપ્રાણી સિંહ કુલ-9ને રેલ્વે ટ્રેકથી દૂર ખસેડી આબાદ બચાવ કરવામાં આવેલ છે.આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટ્રેનને રાબેતા મુજબ રવાના કરવામાં આવી હતી. આમ વન્યપ્રાણી સિંહ કુલ-9નો આબાદ બચાવ કરવામાં આવેલ છે.