મારુતિનંદન સોસાયટીમાંથી 79 હજારની ચોરી
પરિવાર મકાન બંધ કરી જામનગર ગયો હતો: રોકડ અને દાગીના તસ્કરો ચોરી ગયા
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના જામનગર રોડ પર આવેલી ડાંગર કોલેજની પાછળ આવેલ મારૂતિ નંદન સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ અને દાગીના સહિત રૂા. 79 હજારની ચોરી કરી હતી. આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુ વિગત મુજબ મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા સંદિપભાઈ રામજીભાઈ નકુમ નામના યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે કાકા રણછોડભાઈની તિથિ હોય તેથી જામનગરના શેખપારગામે ગયા હતાં.
ત્યાર બાદ આજે સવારે ઘરે પહોંચ્યા ત્યારે ઘરના દરવાજાનો લોક તુટેલી હાલતમાં હતો અને સામાન વેરવિખેરહાલતમાં પડ્યો હતો જેથી અંદર જઈ તપાસ કરતા તીજોરીમાંથી રૂા. 18 હજાર રોકડા સોનાની બુટી, ચાંદીની ઝાંઝરી મળી કુલ 79 હજારની ચોરી થયાનું માલુમ પડ્યુ હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી સંદિપભાઈએ જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં રહેતા રોહિતભાઈ પરમાર અને દિનેશભાઈ નકુમના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો.