શાળાઓમાં ખાલી પડેલી જગ્યા માટે વધુ 6390 જ્ઞાન સહાયકોની ભરતી થશે
શિક્ષણ વિભાગ શરૂ કરશે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા સામે 6390 જ્ઞાન સહાયકોની નવેસરથી ભરતી કરાશે. શિક્ષકોની ગત વર્ષે ખાલી પડેલી જગ્યા અને ચાલુ વર્ષે નિવૃત્ત થયેલા શિક્ષકોની જગ્યાઓ ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટૂંક સમયમાં ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
માધ્યમિક વિભાગમાં 2074 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 4316 જગ્યાઓ પર નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી થશે.રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 6390 જગ્યામાં નવેસરથી જ્ઞાન સહાયકની ભરતી કરાશે. રાજ્યના કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ખાલી જગ્યાની વિગત સમગ્ર શિક્ષા અભિયાનને મોકલી અપાઈ છે. જેથી ટૂંક સમયમાં એસએસએ દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવશે. ત્યારબાદ ભરતી અંગેની પ્રક્રિયા હાથ ધરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, રાજ્યની સ્કૂલોમાં હાલમાં ઘણા જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ થયા છે અને હવે ખાલી જગ્યા પર નવા જ્ઞાન સહાયકોની ભરતી થશે.
રાજ્યમાં ગત વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારીત જ્ઞાન સહાયકની ભરતી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન માધ્યમિક શાળાઓમાં 5250 અને ઉચ્ચતર માધ્યમિકમાં 3719 મળી કુલ 8999 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. ગત વર્ષે નિમણૂક આપેલા જ્ઞાન સહાયકોને આ વખતે રિન્યુ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. જેથી હવે ગત વર્ષે ખાલી પડેલી અને ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષકોની જે જગ્યાઓ ખાલી પડી છે એમાં નવેસરથી ભરતી હાથ ધરાશે.