સૌ.યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા મોડી થતાં 60% બેઠકો ખાલી
1.18 લાખમાંથી માત્ર 47 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો: અભ્યાસ બગડશેના ડરથી ખાનગી યુનિ.તરફ વળ્યા છાત્રો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા મોડી શરૂ કરતા 60 ટકા બેઠક ખાલી રહી ગઇ છે. પ્રથમ રાઉન્ડના અંતે માત્ર 47 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યા છે. પ્રવેશ પ્રક્રિયા મોડી થતા પ્રવેશથી વંચિત રહી જશે તેવા ડરથી છાત્રો ખાનગી યુનિવર્સિટી તરફ વળ્યા હોવાથી યુનિવર્સિટીમાં પ્રવેશ મોટુ ગાબડુ પડી ગયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મોટાભાગના કોર્ષમાં બેઠકો ખાલીખમ છે. ગુજરાત બોર્ડના પરિણામોને સમય થવા છતાં પણ આજ સુધીમાં ફક્ત 40.35 ટકા જેટલી બેઠકો ભરાઈ છે. વિદ્યાર્થીઓ હવે સરકારી કરતાં ખાનગી યુનિવર્સિટિ તરફ વળ્યા છે. સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થવાના કારણે અડધા કરતાં પણ વધુ બેઠકો ખાલી પડી છે. ગુજરાત બોર્ડના ધો.12ના પરિણામ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર 40 ટકા બેઠકો ભરાઈ છે.
સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ 1,18,240 બેઠકો છે તેની સામે હજુ સુધી ફક્ત 47,714 વિદ્યાર્થીઓએ એડમિશન માટે અરજી કરી છે. આ અરજી કરનાર વિદ્યાર્થીઓમાં ખાસ એજ્યુકેશન, સાયન્સ, આર્કિટેક્ચર, આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, મેડિકલ, હોમ સાયન્સ, લો, પરર્ફોર્મિંગ આર્ટસ સહિતની ફેકલ્ટી માટે રજીસ્ટ્રેશન કર્યું છે. કહી શકાય કે પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડમાં 60 ટકા જેટલી બેઠકો ખાલીખમ છે. આગામી દિવસોમાં વધુમાં વધુ 20 ટકા બેઠકો ભરાવાનું અનુમાન છે કારણ કે વિદ્યાર્થીઓએ એડમિશન ના મળવાના ડરમાં ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા લાગ્યા છે.
અન્ય ખાનગી યુનિવર્સિટીની સાપેક્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ જ ઓછી સીટ ભરાઈ તેનું એક કારણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, અહીં મોડી પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થઈ અને જીસીએએસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તે સિવાય વારંવાર પેપર લીક થવા, ભરતીઓમાં ગોટાળાઓ, વહીવટી ભ્રષ્ટાચારો, પ્રવેશમાં- પરીક્ષાઓ- પરિણામોમાં છાછવારે છબરડાઓ, વિવાદો, આંતરિક રાજકારણ જેવી બાબતોના લીધે છેલ્લા 7 વર્ષમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખરડાઈ છે. વહિવટી બાબતોમાં હાલત એટલી કથળેલી છે કે, ગઅઅઈનો ગ્રેડ પણ ગગડી ગયો છે.
યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી રીતે કથળેલી પરિસ્થિતિનું મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈચ્છા શક્તિનો અભાવ અને કેમ્પસનું આંતરિક રાજકારણ છે. બીજી તરફ રાજ્યસરકાર ખાનગી યુનિવર્સિટીઓને ખટાવવા વિદ્યાર્થીઓને સ્નાતક કોર્ષમા પ્રવેશ મેળળવા જીસીએએસ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટેશનનો નિયમ લઇ આવી, જેથી વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ કોલેજમાં પ્રવેશ સમયસર ન મળવાની બીકે ખાનગી યુનિવર્સિટીઓમાં ના છૂટકે પ્રવેશ મેળવી લીધો છે. વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફી અને એડમિશન ફી બંને ભરવી પડે છે અને વિદ્યાર્થીને 1% પણ ઉપયોગી નથી, એવી રાજ્ય સરકારની આ પ્રવેશ નીતિને કારણે સરકારી યુનિવર્સિટીઓમાં અને તેને સંલગ્ન કોલેજોમાં આ વખતે સાવ ખાલીખમ રહેવાની છે.
GCAS પોર્ટલમાં પડતી મુશ્કેલી નિવારવા ગજઞઈંની શિક્ષણમંત્રીને રજૂઆત
વર્ષ 2024થી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ યુનિવર્સિટી કે જે સરકારી છે તેમને કોમન એક્ટ પ્રમાણે કોમન પ્રવેશ પ્રક્રિયામાં આવરી લેવામાં આવી છે. જેના કારણે પ્રવેશ મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓને જીસીએએસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જેના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યું છે અને સમય વેડફાઇ રહ્યો છે. જેના કારણે સીધે સીધો ખાનગી યુનિવર્સિટીના ફાયદો થઇ રહ્યો છે. જીસીએએસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીઓને રૂા.300 પ્રવેશ ફીના ખર્ચવા પડે છે અને સાયબર કાફે વાળા પાસેથી ફોર્મ ભરવા માટે 250થી 300 રૂપિયા વિદ્યાર્થીઓ પાસે ઉઘરાવવામાં આવી રહ્યા છે અને ગામડાના છેવડામાંથી આવતા વિદ્યાર્થીઓને આ પ્રવેશ પ્રક્રિયામાં ખબર ન પડતી હોવાથી એમના સાથે પણ અન્યાય થઇ રહ્યો છે. જેથી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી એનએસયુઆઇ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવી હતી.