રામનાથપરામાંથી પકડાયેલા 1600 કિલો પનીરના કેસમાં વેપારીને પાંચ લાખનો દંડ
રાજકોટ શહેરમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરી વેચાણ કરવામાં આવતું હોય તેની સામે ફુડ વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરી અવારનવાર ખાદ્ય ચીજોના નમુના લેવામાં આવે છે ત્યારે અગાઉ રામનાથપરામાંથી પનીરનું ગોડાઉન મળી આવ્યું હતું. જેના નમુના ફેઈલ થતાં વેપારી સામે ફુડ એન્ડ સેફટી અંગેનો કેસ મુકવામાં આવ્યો હતો. જે કેસ એડીશ્નલ કલેકટર ચેતન ગાંધી સમક્ષ ચાલી જતાં આજે વેપારીને પનીરમાં ભેળસેળ કરવાના કેસમાં તકસીરવાન ઠેરવી પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય બે કેસમાં પણ વેપારીઓને 50-50 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં ખાદ્ય ચીજમાં મીલાવટ થતી હોય જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોય જેની સામે આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર ઝુંબેશ શરૂ કરી ખાદ્ય ચીજો અને ખાણી પીણીના નમુના લઈ કાયદેસરની કાર્યવાહી કરતાં હોય છે જેમાં થોડા સમય પહેલા જ ફુડ વિભાગ દ્વારા રામનાથપરામાં આવેલ ગોડાઉનમાં દરોડો પાડી તપાસ કરતાં 1600 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેના નમુના લઈ વડોદરા ફુડ એન્ડ ડ્રગ લેબારેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
ગોડાઉનમાંથી મળેલ પનીરનો જથ્થો રાજકોટની જુદી જુદી હોટલમાં સપ્લાય કરવામાં આવતો હતો. જેનો લેબારેટરીનો અભિપ્રાય આવતાં જેના નમુના ફેઈલ થતાં વેપારી ઈમ્તીયાઝ જુમાભાઈ કાણીયા સામે એડીશ્નલ કલેકટર સમક્ષ કેસ કરવામાં આવ્યો હતો. જે અંગે સુનાવણી પુર્ણ થઈ જતાં આજે એડીશ્નલ કલેકટર ચેતન ગાંધીએ વેપારીને તકસીરવાન ઠેરાવી પનીરમાં ભેળસેળ કરવા અંગે પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત મેટોડામાંથી બીસ ડ્રીંક મિનરલ વોટર પ્લાન્ટમાંથી પાણીના નમુના લેવામાં આવ્યા હતાં. જે નમુના ફેઈલ થતાં વેપારી ગીરીશભાઈ લાલજીભાઈ શિંગાળાને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત બીસ ડ્રીંક મિનરલ વોટર પ્લાન્ટના માલિક સામે અન્ય એક કેસમાં પણ ગીરીશભાી લાલજીભાઈ શિંગાળાને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ એક જ દિવસમાં એડીશ્નલ કલેકટર ચેતન ગાંધી ફુડ એન્ડ ડ્રગના ત્રણ કેસમાં બે વેપારીઓને છ લાખનો દંડ ફટકાર્યો છે.