દિલ્હીનાં નરેલામાં ફેક્ટરીમાં આગ લાગતાં 3 લોકો જીવતાં ભુજાયા, 6 લોકો થયા ઘાયલ
દિલ્હીના નરેલામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે ફેક્ટરીમાં હાજર ત્રણ કામદારોના મોત થયા હતા અને 6 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીમાં હાજર 9 લોકોને બચાવી લીધા હતા. આ ઘટનામાં ઘાયલ લોકોને નરેલાની SHRC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા અને અન્યને સારવાર માટે સફદરગંજમાં રેફર કર્યા.
નરેલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દાળના કારખાનામાં આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસના ફાયર કર્મીઓએ લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, "આ આગની ઘટનામાં બેદરકારી દાખવવા બદલ IPCની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. વધુ તપાસ પણ ચાલી રહી છે."
આગ લાગતાની સાથે જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કારખાનામાં ચારેબાજુ ભયનો માહોલ છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આકરી ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં પણ વધારો થયો છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે તમામ સંબંધિત એજન્સીઓને સુરક્ષા પગલાં પર ભાર મૂકવા માટે સૂચના જારી કરી હતી. દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં દરેક કિંમતે ફાયર સેફ્ટી માપદંડોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.