કોળિયાકના દરિયામાં 3 મિત્રો ડૂબ્યા, એક લાપતા
ભાવનગરના ખેડૂતવાસના છ મિત્રો નાહવા પડયા હતા
ભાવનગર શહેરના ખેડુતવાસ વિસ્તારના છ મિત્ર કોળીયાક ફરવા માટે ગયા હતા. તે વેળાએ બપોરના સુમારે ચાર મિત્ર દરિયામાં ન્હાવા પડતા એકાએક વળતા પાણી સાથે ત્રણ મિત્ર દરીયામાં ડુબવા લાગતા બે યુવકને બહાર ખેંચી લેવાતા આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે એક યુવક દરીયામાં ગરકાવ થઈ જતા મોડી રાત્રી સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઉકત બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ખેડુતવાસ વિસ્તારમાં આવેલા બુધ્ધદેવ સર્કલ પાસે, શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા છ મિત્ર બપોરના કોળીયાક ફરવા માટે ગયા હતા.તે વેળાએ બપોરના 3.30 કલાકના અરસા દરમિયાન ચાર મિત્ર દરીયામાં ન્હાવા પડ્યા હતા. પરંતુ વળતા પાણીના પ્રવાહ સાથે ત્રણ મિત્ર ડુબવા લાગતા સંતોશભાઈ ઉર્ફે ઝુમરુ અને રોહિતભાઈ ઉર્ફે બાવુને અન્ય મિત્રોએ પાણીમાંથી ખેંચી બહાર કાઢી લેતા બન્ને યુવકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.જ્યારે અન્ય નિતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ દિલીપભાઈ રાઠોડ (ઉ.વ. 25) ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.
આ ઘટનાની જાણ થતા ભાવનગર મરીન પોલીસ સ્ટાફ અને ફાયર ટીમ કોળીયાક દોડી ગઈ હતી. જયારે બનાવના પગલે ખેડુતવાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને યુવકની ભાળ મેળવા ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ દરીયામાં ઝંપલાવી શોધખોળ હાથ ધરી હતી.પરંતુ મોડી રાત્રી સુધી યુવકનો કોઈ અતોપત્તો લાગવા પામ્યો ન હોવાનું જાણવા મળ્યુ હતુ.બનાવના પગલે ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી.