For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોન અપાવી દેવાના બહાને 10 લોકો સાથે 16.92 લાખનું ચીટિંગ

12:59 PM Dec 22, 2023 IST | Sejal barot
લોન અપાવી દેવાના બહાને 10 લોકો સાથે 16 92 લાખનું ચીટિંગ

રાજકોટમાં લોન અપાવી દેવાના બહાને એકસીસ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ગઠીયાએ વેપારી અને નોકરીયાતોને શિશામાં ઉતારી ક્રેડીટ કાર્ડ અને મોબાઈલ નંબર મેળવી તેમના ખાતામાંથી 16.92 લાખ બારોબાર ચાઉં કરી ગયાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ગઠીયાની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર ગોર્વધન ચોક, માધવપાર્ક પૂર્વા એર્પાટમેન્ટમાં રહેતા અને ઘર પાસે જ સૌરાષ્ટ્ર સોપારી નામની દુકાન ધરાવતાં વેપારી અંકુરભાઈ જગદીશભાઈ સુરાણી (ઉ.30) નામના પટેલ વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી અને અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.19-11-23નાં સવારે ફરિયાદી પોતાની દુકાને બેઠા હતા ત્યારે આરોપી દુકાને આવ્યો હતો અને પોતાની ઓળખ એકસીસ બેંકના કર્મચારી તરીકેની આપી લોન કરાવી દેવાની વાત કરી હતી. ફરિયાદીને બહાર જવું હોય બીજે દિવસે આવવા કહ્યું હતું ત્યારબાદ આરોપી બીજે દિવસે ફરિયાદીની દુકાને આવ્યો હતો અને લોન કરાવી દેવાની વાત કરી હતી.
ફરિયાદીને પર્સનલ લોનની જરૂરીયાત હોય લોન લેવાની હા પાડતાં આરોપીએ વેપારીનો મોબાઈલ નંબર અને ક્રેડીટ કાર્ડ માગ્યા હતાં. અને મોબાઈલ ઉપર ઓનલાઈન લોનની પ્રોસીઝર કરવાનું નાટક કરી તમારી બે લાખની લોન થઈ જશે તેમ કહ્યું હતું અને આરોપી નીકળી ગયો હતો.
ત્યારબાદ આરોપીએ ફોન કરી લોન પ્રોસેસના 8940 ગુગલ પેથી મંગાવી લીધા હતાં અને ફરી તા.24-11-23ના પ્રોસેસ કરવાની બાકી રહી ગઈ તેમ કહી મોબાઈલ મેળવી લોનની અમુક પ્રોસેસ કરી હતી. બાદમાં વેપારીને શંકા જતાં પોતાના ક્રેડીટ કાર્ડનું સ્ટેટમેન્ટ કઢાવતા અલગ અલગ સમયે અને તારીખે ખાતામાંથી કુલ 14,80,914 રૂપિયા ઉપડી ગયા હતાં. આ અંગે સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચ સમક્ષ રજૂઆત કરતાં પોલીસે તેની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં એકસીસ બેંકના કર્મચારી તરીકેની ઓળક આપી મહાવીરસિંહ સોલંકીએ રાજકોટમાં અન્ય 10 વેપારીઓ અને નોકરીઆતોને પણ શીશામાં ઉતારી પૈસા ચાઉં કરી ગયો હતો જે તમામ વેપારીઓની રજૂઆત બાદ ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે.
લોન લેવા જતાં છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓમાં કોઠારીયા રોડ ગણેશનગરમાં રહેતા સંદીપ દિનેશભાઈ આંબલીયા, અંબાજી કડવા પ્લોટમાં રહેતા મયુર વિજયભાઈ ભારદીયા, મોરબી રોડ જકાતનાકા પાસે રહેતા પંકજ બાબુભાઈ દોમડીયા, દ્વારકેશ પાર્કમાં રહેતા શૈલેષ ભીખાભાઈ લોહાણા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી કલ્પેશ રામજીભાઈ ચાંગાણી, ભારતનગરમાં રહેતા પરસોતમ વેલજીભાઈ ડાભી, આનંદનગરમાં રહેતા પ્રશાંતભાઈ ભપેન્દ્રભાઈ સેજપાલ, અયોધ્યા ચોકમાં રહેતા રાહુલ દિલીપભાઈ નકુમ, ગિરીશ દિલીપભાઈ નકુમના ખાતામાંથી 2,11,366 એપ્લીકેશન મારફતે ઓળવી ગયાનું બહાર આવ્યું છે. આમ કુલ 10 વેપારીઓને શીશામાં ઉતારી 16,92,000 ગઠીયો ચાઉં કરી ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement