અમદાવાદમાં રથયાત્રાને 1278 કેમેરાનુ કવચ
સમગ્ર રૂટ ઉપર 360 ડિગ્રી વોચ, તમામ રોડ, શેરી, એન્ટ્રી-એક્ઝિટ આવરી લેવાયા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રાના રૂૂટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનો પ્રોજેક્ટ ક્રાઇમ બ્રાંચ દ્વારા હાથ ધરાયો છે. આ રૂૂટ પર પહેલા માત્ર 117 સીસીટીવી કેમેરા હતા. ક્રાઇમ બ્રાંચે આ પ્રોજેક્ટ હાથમાં લઇને લોક ભાગીદારીથી 360 ડિગ્રીના 1161 જેટલા કેમેરા લગાવડાવતા હવે કુલ 1278 સીસીટીવી કેમેરા લાગી ગયા છે.
આ તમામ સીસીટીવી બેંક, કોમ્પલેક્સ અને દુકાનોની બહાર લગાવવામાં આવ્યા છે. આમ, રથયાત્રા રૂૂટ પર આવતા તમામ રોડ, ગલી અને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા છે.
ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આ કાયદાના અસરકારક અમલીકરણ માટે તેમજ આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે લોકભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં દુકાનદારો, એસોસિયેશન તેમજ સ્થાનિક પ્રતિનિધિઓને સહકાર આપવા પોલીસે અપીલ કરી હતી. પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટેકનિકલ ટીમે સમગ્ર રથયાત્રાના રૂૂટ 1161 જેટલા કેમેરા નવા લગાવી દેવાતા હાલ 1278 કેમેરા કાર્યરત કરી દેવાયા છે.
રથયાત્રાના રૂૂટ પર આવતા જ્વેલર્સ, દુકાનો, પેટ્રોલ પંપ અને મોટા શો-રૂૂમના માલિકોએ પોલીસને સહયોગ આપીને ઉત્તમ ક્વોલિટીના 360 ડિગ્રીના સીસીટીવી લગાવ્યા છે. બાકી રહેલી વધુ દુકાનના માલિકોને સીસીટીવી કેમેરા લગાડવા માટે સમજાવામાં આવશે. જેથી આગામી સમયમાં 1700થી વધારે કેમેરા લગાવાય તેવી તૈયારી છે.
સઘન ચેકિંગ, ઘોડેસવારી સાથે રૂટ પર પેટ્રોલિંગ
સેક્ટર-1ના જેસીપી નીરજકુમાર બડગુજરે જણાવ્યું હતું કે, રથયાત્રાને લઇને રૂૂટ પર સીસીટીવી કેમેરા લગાવવાની સાથે સેક્ટર-1ના તમામ અધિકારીઓએ શાંતિ સમિતિના સભ્યો સાથે મિટિંગ કરી છે. સાથે જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ખાડિયા તથા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મિલકત તથા શરીર સંબંધી ગુનેગારોની ઓળખ પરેડ કરાઇ હતી. સાથે જગન્નાથજી મંદિરથી રથયાત્રા રૂૂટ ઉપર ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત 200થી વધુ પોલીસની સાથે ઘોડેસવાર માર્ચ અને ફુટ પેટ્રોલિંગ કરાયુ હતું.