45 દિ’માં પેમેન્ટને લીધે 12000 ઉદ્યોગોએ MSME નોંધણી રદ કરાવી
1 એપ્રિલથી નિયમ અમલમાં આવતા નવા ઓર્ડર મળવાનું બંધ થતાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની હાલત કફોડી, ભારતભરમાં 40,000થી વધુ નોંધણી રદ
કેન્દ્ર સરકારે નાના, મધ્યમ અને માઈક્રો ઉદ્યોગો માટે 45 દિવસની સમય મર્યાદામાં પેમેન્ટ કરવાના બનાવેલા નિયમની વેપાર-ઉદ્યેગક્ષેત્ર ઉપર વિપરીત અને માઠી અસરો થઈ હોય તેમ માત્ર એક જ માસમાં ગુજરાતમાં 12 હજાર સહિત દેશમાં 40 હજારથી વધુ નાના-મધ્યમ અને માઈક્રો ઉદ્યોગોએ નોંધણી રદ કરાવી છે.
એક અહેવાલ મુજબ દેશભરમાંથી વ્યાપાર-ઉદ્યોગ સંગઠનોએ 45 દિવસે પેમેન્ટ ચુકવણીના નવા કાયદાનો વિરોધ કર્યો હોવા છતાં કેન્દ્ર સરકારે ગત તા. 1 એપ્રીલથી આ નિયમ અમલી બનાવી દેતા નાના-મધ્યમ અને અતિનાના ઉદ્યોગોની પેમેન્ટ સાઈકલ ખોરવાઈ ગઈ છે અને મજબુરીવશ ઉદ્યોગકારો નોંધણી રદ કરાવી રહ્યા છે.
માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)ને પેમેન્ટ ચૂકવણી માટે 45 દિવસની સમયમર્યાદા ફરજિયાત કરતો નવો નિયમ 1 એપ્રિલથી અમલમાં આવ્યો છે. ગુજરાતમાં વેપારીઓ ઓર્ડર ન મળવા માટે નવા નિયમને જવાબદાર ઠેરવી રહ્યા છે. ચુકવણીની સમયમર્યાદા ધંધાને અસર કરતી હોવાથી ભારતની હજારો MSMEએ નોંધણી રદ કકરાવી નાખી છે. નાના ઉદ્યોગોને બાકી લેણાં માટે ચૂકવણીની સમયમર્યાદા લાદવાનો સરકારનો નિર્ણય હાલ ઉદ્યોગો માટે ઘાતકી સાબિત થઈ રહ્યો છે.
એક ચેનલના અહેવાલ મુજબ, ગુજરાતમાં 12,000 સહિત 40,000 થી વધુ ભારતીય નાના ઉદ્યોગોએ તેમની નોંધણી રદ કરી છે અને 45 દિવસમાં ચૂકવણી ક્લિયર કરવાના ફરજિયાત નિયમને દૂર કરવા અપીલ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 43ઇં (ઇ) હેઠળ, ભારતમાં 3.6 કરોડ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)માંથી કોઈપણ પાસેથી માલ ખરીદનાર કોઈપણ વ્યક્તિએ 45 દિવસની અંદર બાકી નાણાં ચૂકવવા પડશે. બાકી રહેલ લેણાં ખરીદનારના નફામાં ઉમેરવામાં આવે છે. આને લીધે હજારો નાના ઉદ્યોગોનો દાવો છે કે નિયમ 1 એપ્રિલથી અમલમાં આવ્યો ત્યારથી મોટા ગ્રાહકોના નવા ઓર્ડર મળવાનું ઓછુ થઈ રહ્યું છે.
આ અંગે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વેપારી મંડળના પ્રમુખ જયેન્દ્ર તન્નાના જણાવ્યા અનુસાર, રજિસ્ટર્ડ એન્ટિટીમાંથી બિન-રજિસ્ટર્ડ કંપનીઓ તરફ ધંધો વહેવા લાગ્યો છે કારણ કે તે ખરીદદારને ચુકવણીની સમયમર્યાદા ટાળવા દે છે. અણધાર્યા પરિણામથી નાના વેપારીઓમાં ભારે હોબાળો થયો છે. અન્ય વેપારીઓના સંગઠનો કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. અમારા નાના MSME એ તેમનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે. જો અમારે ભવિષ્યમાં ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે તો જઈશું, અમદાવાદ વેપારી મહાસંઘના વડા મેઘરાજ દોડવાણીએ જણાવ્યું હતું.