સૂર્ય પાર્કમાં 12 વર્ષના તરૂણનું પેટમાં દુખાવો ઉપડ્યા બાદ મોત
શહેરના અમીન માર્ગ પર સૂર્ય પાર્કમાં માતા સાથે રહેતાં બાર વર્ષના તરૂણનું રાત્રે પેટમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મોતનું ચોક્કસ કારણ જાણવા તબિબે વિસેરા લઈને પરિક્ષણ માટે મોકલ્યા હતાં.
જાણવા મળેલી વિગતો મુજબ અમીન માર્ગ પર સુર્યપાર્કમાં અક્ષર ગેરેજ વાળી શેરીમાં ભાડાના મકાનમાં માતા ભવિકાબેન પ્રકાશભાઈ પાનસુરીયા સાથે રહેતાં પ્રહર (ઉ.વ.12) બાળકને આજે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચૌકીના રામશીભાઈ વરૂૂ, ભાવેશભાઈ મકવાણા સહિતે માલવીયાનગર પોલીસને કરી હતી.મૃતક પ્રહરના પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રહરના પિતા પ્રકાશભાઈ પાનસુરીયાનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. તે એકનો એક દિકરો હતો અને હાલમાં રાજસ્થાનના જયપુર ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો.
ત્યાંથી ત્રણેક દિવસ પહેલા તેણે ફોન કરી પગમાં કપાસી થઈ હોઈ દુ:ખાવો થતો હોવાની વાત કરતાં માતા ભાવિકાબેન તેને તેડી લાવ્યા હતાં અને દવા સારવાર કરાવી હતી. આજે પરત તેને જયપુર જવાનું હતું. પણ ગત રાતે પ્રહરે પેટમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતાં તેને નજીકના મેડિકલ માંથી દવા લઈ પીવડાવવામાં આવી હતી. એ પછી તે સુઈ ગયો હતો. સવારે તે જાગતો ન હોઈ ભાવિકાબેને પરીચીતને બોલાવી તેને પ્રથમ મવડી આસ્થા હોસ્પિટલમાં, ત્યાંથી સીનર્જીમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં કલ્પાંત સર્જાયો હતો. પ્રહરની અંતિમવિધી માટે મૃતદેહ માતા ભાવિકાબેનના વતન ચાંદલી ગામે લઇ જવાનો હતો. પરંતુ તેણીના સાસરિયા પક્ષ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવા જણાવાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઈ એસ. એ. સિંધીએ જરૂૂરી કાર્યવાહી કરી હતી.