નવીદિલ્હી એરપોર્ટમાં છત તૂટી પડતાં 1 મોત, 8 ઘાયલ
ટર્મિનલ-1 ઉપર સવારે સર્જાયેલી દુર્ઘટના, છત તૂટીને કાર ઉપર ખાબકતા અફરાતફરી
નવીદિલ્હીના સૌથી વ્યસ્ત એરપાર્ટ ઉપર ટર્મિનલ-1 ઉપર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટર્મિનલ-1 ઉપર છતનો એક ભાગ તુટી નીચે પાર્ક કરેલ કાર ઉપર પડ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યકિતનું મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતના પગલે ટી-1 ટર્મિનલની બપોર સુધીની 28 જેટલી ફલાઇટો રદ કરી દેવામાં આવી છે.
આ અકસ્માત બાદ એરપોર્ટ ઉપર અફરાત ફરી મચી ગઇ હતી. તાત્કાલિક ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા હતા અને સમારકામ શરૂ કરાયુ હતું.
શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ વચ્ચે સમાચાર આવ્યા કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છતનો એક ભાગ તેની નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેમાં છ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં કેબ સહિત અનેક વાહનોને નુકસાન થયું છે. દિલ્હી ફાયર સર્વિસને ઘટનાની માહિતી મળતાં તાત્કાલિક એરપોર્ટ પહોંચી હતી. ફાયર ડિરેક્ટર અતુલ ગર્ગે 8 લોકો ઘાયલ થયાની અને એક મોતની પુષ્ટી કરે છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ ટ્વીટ કર્યું, હું ટી-1 દિલ્હી એરપોર્ટ પર છત પડવાની ઘટના પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યો છું. ટીમ ઘટના સ્થળે કામ કરી રહી છે. સાથે જ, એરલાઈન્સને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. ટી-1 પર તમામ અસરગ્રસ્ત મુસાફરોને તાબડતોબ મદદ કરવામાં આવી હતી. .
અધિકારીઓએ જણાવ્યું કે, છતની ચાદર અને તેના સપોર્ટિંગ બીમ તૂટી પડ્યા, જેના કારણે ટર્મિનલના પિક-અપ અને ડ્રોપ એરિયામાં પાર્ક કરેલી કારને નુકસાન થયું. છત સીધી ત્યાં પાર્ક કરેલી કાર પર પડી, જેના કારણે ઘણું નુકસાન જોવા મળ્યું. કારની અંદરથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે જેના પર લોખંડનો બીમ પડ્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બાકીના લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.