સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાઘપૂજા કરી હતી. તેમણે દેવાધિદેવના ચરણોમાં લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટેની પ્રાર્થના પણ કરી હતી.
સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ શ્ર્લોકોચ્ચાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીને તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરાવી હતી. ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરવા સાથે ધ્વજા આરોહણ કરાવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીને દર માસની માસિક શિવરાત્રિએ હોમાત્મક લઘુરૂૂદ્ર યજ્ઞનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી કે.વી.બાટી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, દિલિપ બારડ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.