પરિણીતાની ત્રાસ આપ્યાની ફરિયાદમાં અદાલતે સાસરિયાનો ફરમાવ્યો છૂટકારો
જામનગરના એક પરિણીતાએ પતિ, સાસુ, જેઠ-જેઠાણી, નણંદ સામે ત્રાસ આપ્યાની તથા મારકૂટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સાસરિયાઓનો છૂટકારો ફરમાવતો હુકમ કર્યો છે.
જામનગરના પરેશભાઈ કામરીયા નામના આસામીના પત્ની ચેતનાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસુ ઉર્મિલાબેન, જેઠ કેતન ભાઈ, જેઠાણી જયોતિબેન, નણંદ આશાબેન સામે ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ કરી હતી.
ઉપરોેક્ત ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી તે કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષના વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂતે ફરિયાદીની ઉલટ તપાસ લીધી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, ફરિયાદ થઈ ત્યારે અને હાલમાં પતિ સાથે જ તેણી રહે છે. જ્યારે સાસરીયા અલગ રહે છે. સાસુ ઉર્મિલાબેને તેણી સામે પોેલીસમાં અરજી કરતા તેણીએ ફરિયાદ નોંંધાવી હતી. પતિએ લગ્નગાળા દરમિયાન કાઢી મુકી નથી અને માવતરે જતું રહેવું પડે તેવું બન્યું નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી સાસરિયાઓનો છૂટકારો ફરમાવ્યો છે.