કોરોનાને પગલે આવતીકાલે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીની ઈમરજન્સી બેઠક
દેશમાં કોરોના મહામારી ફરી એકવાર પોતાના પગ ફેલાવી રહી છે. સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત અનેક દેશોમાં તબાહી મચાવ્યા બાદ તેના નવા વેરિઅન્ટ JN-1એ દેશમાં પણ દસ્તક આપી છે. કેરળમાં આ નવા પ્રકારની પુષ્ટિ થયા પછી, કોરોનાના કેસ વધવા લાગ્યા છે. બીજી તરફ કર્ણાટક સરકારે માસ્ક પહેરવાની સલાહ આપી છે. રોગચાળાની વધતી જતી શક્યતાઓ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ પર રહેવા જણાવ્યું છે. તેમજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્રના ડેટા અનુસાર, કેરળ રાજ્યમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ ત્રણ ગણા વધી ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને શ્વસન સંબંધી રોગોથી પીડિત લોકોની વધતી સંખ્યાને જોતા સમીક્ષા માટે 20 ડિસેમ્બરે રાજ્યોના આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેરળમાં કોરોનાના કેસની સાથે મૃત્યુમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રને મોકલવામાં આવેલા ડેટા અનુસાર કેરળમાં કોરોનાના દૈનિક કેસ એક સપ્તાહમાં લગભગ ત્રણ ગણા થઈ ગયા છે. જ્યારે 1 થી 17 ડિસેમ્બર સુધીમાં 10 લોકોના મોત થયા હતા. સરકારની ચિંતા નવા પ્રકાર ઉંગ.1 વિશે છે, જે તાજેતરમાં કેરળમાં 79 વર્ષીય મહિલામાં જોવા મળી હતી. આ કોરોનાનું સૌથી નવું સ્વરૂૂપ છે, જે સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે.
16 ડિસેમ્બરે, કેરળમાં 302 નવા કોરોના કેસ અને ચાર મૃત્યુ નોંધાયા હતા. અગાઉ 10 ડિસેમ્બરે કેરળમાં 109 કેસ નોંધાયા હતા. 12 ડિસેમ્બરે, રાજ્યમાં કોરોના કેસ 200ને પાર કરી ગયા અને ચાર દિવસમાં કેરળમાં 300 થી વધુ નવા કેસ નોંધાયા છે.
અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને લખેલા પોતાના પત્રમાં કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જારી કરી છે. તેમણે રાજ્ય સરકારોને નિયમિતપણે કોરોના કેસના રિપોર્ટ મોકલવાની સૂચના આપી છે. કેન્દ્રએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધવાની પેટર્ન શું છે? આ અંગે પણ રિપોર્ટ આપવો જોઈએ.