સુરતના 1.45 લાખ લોકોએ 5થી 10 વાર તો, 1750 લોકોએ 100 વખત ટ્રાફિક નિયમો તોડ્યા
દસ વર્ષના આંકડા જાહેર કરતા ગૃહમંત્રી, લાઇસન્સ રદ કરવાની ચીમકી
સુરતમાં ટ્રાફિક સિગ્નલો શરૂ થયા બાદ પહેલીવાર રાજ્યના ગ્રુહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 10 વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા.
સંઘવી એ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં 1.45 લાખ લોકોએ 5થી 10 વખત, 46 હજાર લોકોએ 10થી 20 વખત, 18 હજાર લોકોએ 21થી 50 વખત, 5 હજાર લોકોએ 51થી 100 વખત અને 1750 લોકોએ 100 વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે.
જો કે, હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાશે તો વાહનચાલકનું લાઇસન્સ રદ કરી દેવાશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 51થી 100 વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 6682 વાહનચાલકોના લાઇસન્સ રદ કરી દેવા માટેની પ્રોસેસ શરૂ કરાઈ છે. એક સપ્તાહમાં નોટિસ મળી જશે.
સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઇવ પણ શરૂૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવશે. જે લોકો રોંગસાઇડ પર જાય તેના પર પોલીસ દ્વારા સખ્તાઇથી કામ કરાય તો કરવા દેજો. દયા ન કરતા. હા, મારા પર ફોન આવે રોંગસાઇડથી પકડે તો છોડાવવા માટે તો બે હાથ જોડીને વિનંતી કરું છું હવે છોડવાના નથી. હવે પછીની કામગીરી રોંગસાઇડ માટે ચાલુ કરવાના છે.
હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ જંકશનનો અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ બાબતે મુલાકાત લઇ નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિન્ક્રોનાઈઝેશન થાય, જ્યાં વધારે ભારણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તેવા સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. સંઘવીએ કહ્યું હતું કે, તમામ સિગ્નલો પર ટ્રાફિક નિયમનું પાન કરવા બદલ સુરતીઓનો આભાર, જો કે, હાલમાં સિગ્નલો પર તમારો સમય બગડવા બદલ માફી માંગુ છું.